વડોદરા શહેરમાં છેલ્લા નવ વર્ષથી વી.એસ. ગ્રુપ સેવા સમિતિ દ્વારા સતત નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ આંખોની સમસ્યાથી પીડાતા લોકોને મદદરૂપ થવા માટે નારાયણ સ્મૃતિ સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં આંખોની તપાસ, માર્ગદર્શન અને જરૂરી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના માંજલપુર વિસ્તારમાં આયોજિત આ નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી અને તેનો લાભ લીધો હતો.
વી.એસ. ગ્રુપ સેવા સમિતિ દ્વારા વર્ષ દરમ્યાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સમિતિની પાંચ શાખાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે તેમજ આરોગ્ય, સામાજિક અને જનહિતના વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચે તે હેતુથી આવા સેવાકીય કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે.

