વડોદરા શહેરમાં આવેલ પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરે આવતીકાલે માધી ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞને લઈ મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક અને ઉત્સવી માહોલ સર્જાયો છે.
માધી ગણેશ ચતુર્થીના આ શુભ પ્રસંગે મંદિરને ફૂલોના હારોથી સુશોભિત કરવામાં આવ્યું છે તેમજ આકર્ષક લાઈટિંગથી સમગ્ર પરિસરને ઝગમગતું બનાવવામાં આવ્યું છે. મંદિરની આ ભવ્ય સજાવટ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જગાવી રહી છે.
મંદિરના સેવાભાવી શૈલેષ મહારાજે વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોના તમામ ગણેશ ભક્તોને આ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર આશરે 253 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને તેનું વિશેષ ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ છે. અહીં બિરાજમાન રિદ્ધિ-સિદ્ધિ ગણેશજીની મૂર્તિ પ્રત્યે વડોદરાના ગણેશ ભક્તો અખંડ શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજા અર્ચના કરતા આવે છે.
માધી ગણેશ ચતુર્થીના આ મહાયજ્ઞથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, આસ્થા અને ઉત્સવનું અનોખું સંમિશ્રણ જોવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

