ગરમીના કારણે આ વર્ષે યાત્રા સવારના બદલે સાંજે પ્રસ્થાન થશે.
વડોદરા શહેરએ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે અને સાથે જ એક ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે. સંસ્કૃતિને આગળ વધારતા શહેરમાં અનેક ઉત્સવો અને તહેવારો ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે. તા.29ના રોજ ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજી જન્મોત્સવને લઇને નગરજનોમાં અનેરો ઉત્સાહ છે. દર વર્ષની જેમાં આ વર્ષે પણ ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિતે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન પરશુરામજીની શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળી અમદાવાદી પોળ ખાતે શ્રી પંચમુખી મહાદેવ મંદિર મુકામે વિરામ લેશે.દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાએ શોભાયાત્રાની માહિતી આપતા જણાવ્યું કે, આયુર્વેદિક ચાર રસ્તાથી લઈને માંડવી ગેટ સુધી અનેક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. આ વર્ષે શોભાયાત્રા ખુબ જ અદભુત અને ભક્તિમય રહેશે. અતિશય ગરમીને ધ્યાને રાખીને આ વર્ષે શોભાયાત્રાનો સમય સાંજે 5થી રાત્રીના 9 કલાક સુધી રાખવામાં આવ્યો છે. જેથી વધુમાં વધુ બ્રાહ્મણો અને ભક્તો શોભાયાત્રાનો લાભ લઇ શકે. આ વર્ષે ભગવાન પરશુરામજીની ભવ્ય મૂર્તિનું નિર્માણ પણ કરાવામાં આવ્યું છે, જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે. સાથે જ ‘વન નેશન, વન ઇલેક્શન’ જાગૃતિ માટેનો ટેબ્લો અને તાજેતરમાં વજ્રઘાત સમાન પહલગામ હુમલામાં મૃત્યુ પામેલ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવતો ટેબ્લો પણ સામેલ હશે. આ ઉપરાંત કાશીના મહાન પંડિતો દ્વારા શહેરના હાર્દ સમા લહેરીપુરા ગેટ પાસે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવનાર છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આંતકી હુમલા અંગે દર્ભાવતી ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ ઉમેર્યું કે, આતંકવાદીઓનો હુમલો સમસ્ત હિન્દુ સમાજ પર વજ્રઘાત સમાન હુમલો છે. ઘટનાને નિઃશબ્દ વિરોધ દર્શાવવા શોભાયાત્રામાં આવેલ દરેક વ્યક્તિ કાળી પટ્ટી ધારણ પહેરશે. શહેર અને જિલ્લાના તમામ હિન્દુઓ અને સનાતન પ્રેમીઓને ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા અને મહા આરતીનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે.

