વિસાવદર ખાતે આજે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય રેલી અને અનેક કાર્યક્રમો યોજાયા હતા. વિસાવદર ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાંથી અનુ. સમાજના આગેવાનો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંવિધાન પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લામાંથી પણ અનુ. જાતિ સમાજના આગેવાનો વિશેષ હાજરી આપી હતી. રેલીમાં જોડાયેલા તમામ લોકોને કેશવ ક્રેડિટ કો-ઓપરેટિવ બેન્ક પરિવાર દ્વારા સરબત પીવડાવવામાં આવ્યું હતું.
રેલીમાં અનુ. સમાજ સાથે અન્ય સમાજોના આગેવાનો અને અગ્રણીઓ પણ જોડાયા હતા, જેનાથી ભારતીય સંવિધાન દિવસે સમાનતા અને એકતાની ભાવના સ્પષ્ટ રૂપે જોવા મળી હતી.
રેલીનું પ્રસ્થાન શાયોના પેટ્રોલ પંપથી કરવામાં આવ્યું હતું. બાદમાં સરદાર પટેલ ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા બાદ રેલી વિસાવદરના મુખ્ય માર્ગો પરથી આગળ વધીને આંબેડકર ચોક ખાતે પહોંચી હતી. ત્યાં આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા તથા SSDના કાર્યકર્તાઓએ સલામી આપી.
કાર્યક્રમ દરમિયાન બાબા સાહેબના જીવનપ્રસંગો અને તેમના અમૂલ્ય યોગદાન અંગે પણ વક્તાઓએ ભાવસભર રજૂઆત કરી.
આમ વિસાવદર ખાતે ઉલ્લાસભર્યું અને ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
રિપોર્ટર : શ્યામ ચાવડા, વિસાવદર

