છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સીમલઘોડા ગામ પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના ગેટ નજીક મોટું ગાબડું પડતાં આસપાસના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. માહિતી અનુસાર, લગભગ એક મહિના પહેલા અહીં નાનું ગાબડું પડ્યું હતું, પરંતુ સમયસર સમારકામ ન થતાં હાલ તે વધુ વિકરાળ બન્યું છે.
હાલ મુખ્ય નર્મદા કેનાલમાં મોટા પ્રમાણમાં પાણી વહેતા હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગાબડું વધતા આજુબાજુના ખેતી વિસ્તારમાં પાણી ઘૂસવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો કેનાલનું પાણી રાજબોડેલી, સીમલઘોડા અને મોટી ઊન વિસ્તારના ખેતરોમાં પ્રવેશી શકે છે, જેના કારણે મકાઈ, તુવેર અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચાડવાનો ખતરો છે.
સ્થાનિક ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રાથમિક ગાબડું પડ્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.
ખેડૂતોએ માંગ કરી છે કે સીમલઘોડા ગામ પાસે નર્મદા મુખ્ય નહેરના ગેટ પાસે પડેલા આ ગાબડાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી સંભવિત નુકસાન અને મોટી દુર્ઘટના ટાળી શકાય.

