ગણેશોત્સવનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરામાં એક અનોખો અને પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળે છે. છેલ્લા 30 વર્ષથી પઠાણ અને સૈયદ પરિવાર ગણેશોત્સવ સહિતના તમામ હિન્દુ તહેવારોમાં મંડપ અને ઘરનું સુંદર ડેકોરેશન કરીને કોમી એકતા અને સૌહાર્દ્રનું સંદેશો આપી રહ્યા છે.
આ બંને પરિવારોનો વ્યવસાય માત્ર રોજગાર માટે નથી, પરંતુ સમાજમાં પ્રેમ, ભાઈચારું અને એકતા ફેલાવવાનો એક સુંદર માધ્યમ છે. માત્ર ગ્રાહકો શું ઈચ્છે છે તે જ નહીં, પણ ઉત્સવની ભાવના સાથે મેળ ખાતું ડિઝાઇન તૈયાર કરવામાં તેઓને ખાસ આનંદ મળે છે. ગણપતિ બાપાને ઘર લઈ આવતા ભક્તો માટે, મંડપનું શણગાર પ્રેમભાવથી કરવામાં આવે છે, જેથી ભક્તોનો આનંદ બમણો થાય.
પઠાણ પરિવારના તમામ સભ્યો એકસાથે મળીને, શ્રમ અને લગનથી તહેવારોમાં કાર્ય કરે છે. પછી તે ગણેશોત્સવ હોય કે નવરાત્રી, દિવાળી કે લગ્ન પ્રસંગ, દરેક સમયે તેમના ડેકોરેશનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા ઝળકતી જોવા મળે છે.
આ રીતે હિન્દુ તહેવારોમાં મુસ્લિમ પરિવારોનું સક્રિય યોગદાન માત્ર કાર્યક્ષેત્ર સુધી સીમિત નથી, પરંતુ સમાજને એક મહત્વનો સંદેશ આપે છે – કે તહેવારો કોઈ એક જાતિ કે ધર્મના નથી, પરંતુ સૌના છે.
ગણેશોત્સવમાં પઠાણ અને સૈયદ પરિવારનું આ યોગદાન વડોદરાની કોમી એકતાનું જીવંત પ્રતિક બની રહ્યું છે.

