છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કીડી ઘોઘા દેવ ખાતે પ્રાથમિક શાળા ઘોઘાદેવ તથા સરકારી હાઇસ્કૂલ ઘોઘાદેવ તેમજ ગ્રામજનો દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અંતર્ગત આજે સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી વાલસિંગ રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર ના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત ઘોઘાદેવ ના માજી સરપંચ રૂપસિંગભાઇ રાઠવા,ગોપસિંગભાઈ રાઠવા ગામ નાં યુવા ડો.કનસિંગ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ માં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને પીહા પીહી અને મોટલા ઢોલ તેમજ તીરંદાજી ની હરીફાઈ પણ રાખવામાં આવી હતી,કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો એ ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપતા તેમને જણાવ્યું હતું કે ૧૯૯૨ માં બ્રાઝિલમાં યોજાયેલી પૃથ્વી પરિષદમાં સૃષ્ટિ પર જો લાંબા સમય સુધી માનવજીવન સહિત જીવ સૃષ્ટિ ટકાવી રાખવુ હોય અને પૃથ્વી ને ગ્લોબલ વોર્મિંગ થી બચાવવુ હોય તો આદિવાસી સંસ્કૃતિ આદિવાસી જીવનશૈલી ટકી રહે તેવા પ્રયાસો કરવુ પડશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના માટે વર્ષ ૧૯૯૩ માં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ તરીકે ૯ ઓગસ્ટે ઉજવવા ની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૪ સુધી આદિવાસી દશક તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું ત્યાર થી ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે.
કાર્યક્રમ માં પદ્મ શ્રી પરેશભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા, ડો.કનસિંગ રાઠવા, માજી સરપંચ રૂપસિંગભાઈ રાઠવા, ગોપ સિંગભાઈ રાઠવા સહિત ના વક્તાઓએ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું.
યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પૂજાબેન સુથાર તથા શિક્ષકો વિનોદભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા સહિત સીઆરસી કો ઓર્ડીનેટર વરશનભાઈ રાઠવા સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

