ડભોઈ તાલુકામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈ વસાવાનું આગમન થતાં સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય વસાવા નાંદોદી ભાગોળ અને શિનોર ચોકડી ખાતે પહોંચતા જ કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં મેહુલભાઈ વસાવા, ભાવિનભાઈ પરમાર, મનોજભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધારાસભ્યને ફૂલહાર પહેરાવીને અને શાલ ઓઢાડીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સમયે સમગ્ર વાતાવરણ “દેખો દેખો કોણ આયા, આદિવાસીઓ કા શેર આયા” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે ડભોઈ શહેરના દરેક ખૂણે સંભળાઈ રહ્યું હતું.
ચેતનભાઈ વસાવાના આગમનને કારણે સ્થાનિક રાજકારણમાં એક નવી ગતિશીલતા આવી છે. તેમના પ્રત્યે લોકોનો પ્રેમ અને સમર્થન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે આદિવાસી સમાજમાં તેમનું કેટલું પ્રભુત્વ છે. આ સ્વાગત કાર્યક્રમથી આમ આદમી પાર્ટીની ડભોઈમાં પકડ વધુ મજબૂત બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ચેતનભાઈ વસાવા જેવા યુવા અને લોકપ્રિય નેતાના સમર્થનથી પાર્ટીને વધુ વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

