છોટાઉદેપુર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થતા તેના સગાંવાળાઓ દ્વારા અંધશ્રદ્ધા આધારિત વિધિ કરાતા ચકચાર મચી છે.
માહિતી મુજબ, તાલુકાના એક ગામના બીમાર દર્દીનું બે દિવસ અગાઉ સારવાર દરમિયાન અવસાન થયું હતું. ત્યારબાદ મૃતકના પરિવારજનો એક ભુવાને સાથે લઈને હોસ્પિટલના કમ્પાઉન્ડની બહાર પૂજા વિધિ કરવા લાગ્યા હતા. કહેવાય છે કે મૃતકનો “જીવ પરત લાવવા” માટે આ વિધિ કરવામાં આવી રહી હતી.
ઘટના દરમિયાન ભુવો કલાકો સુધી ધૂણતો રહ્યો હતો, જ્યારે પરિવારજનો ત્યાં હાજર રહ્યા હતા. આ દૃશ્ય જોવા માટે હોસ્પિટલ ગેટ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બીજી તરફ, હોસ્પિટલમાં સારવાર માટે આવેલા અન્ય દર્દીઓ અને તેમના સગાંઓમાં આ ઘટનાને કારણે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોમાં ચર્ચા છે કે છોટાઉદેપુર તાલુકામાં હજુ પણ આવી અંધશ્રદ્ધા આધારિત પરંપરાઓ જોવા મળે છે. નોંધનીય છે કે અગાઉ પણ સરકારી હોસ્પિટલ બહાર આવી જ પ્રકારની ઘટના સામે આવી હતી.
એક તરફ દેશ વિકાસના નવા મુકામ સર કરી રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ સમાજમાં અંધશ્રદ્ધા હજુ પણ જીવંત હોવાનો સંકેત આપે છે. અંધશ્રદ્ધા નિવારણ માટે સરકાર દ્વારા વિવિધ અભિયાન ચલાવવામાં આવતા હોવા છતાં, આવી પ્રવૃત્તિઓ યથાવત રહેતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે આવી ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે, જેથી લોકો અંધશ્રદ્ધાના ભ્રમમાં ન ફસાય અને સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે.

