વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક દર્દી એમ્બ્યુલન્સમાં જ અડધો કલાક સુધી સારવારની રાહ જોતા તડફડતો રહ્યો હતો.
માહિતી અનુસાર ગતરાત્રે અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ બહાર લાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે હોસ્પિટલનો એક કર્મચારી દર્દીઓને સ્ટ્રેચર પર ખસેડી ઇમરજન્સી વોર્ડ સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવતો હોય છે. પરંતુ તે સમયે સંબંધિત કર્મચારી સ્થળ પર હાજર ન હોવાથી દર્દીને લગભગ અડધો કલાક સુધી એમ્બ્યુલન્સમાં જ રાહ જોવી પડી હતી.
આ દરમિયાન ઘટનાની ગંભીરતા સમજતા ત્યાં હાજર એક સિક્યુરિટી જવાન અને દીપક ફાઉન્ડેશનના કર્મચારીએ તરત જ કાર્યવાહી કરી. તેમણે કોઈની રાહ જોયા વગર દર્દીને સ્ટ્રેચર પર ખસેડી ઇમરજન્સી વોર્ડમાં લઈ જઈ તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી.
આ ઘટનાના પગલે હોસ્પિટલની કામગીરી પર સવાલો ઊભા થયા છે. લોકોમાં બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

