ડભોઈ તાલુકાના ૧૧૮ ગામોનું વહીવટી હૃદય ગણાતું ‘સેવા સદન હાલ તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની ગયું છે સેવા સદનના મુખ્ય ગેટ પાસે જ નાખવામાં આવેલા પાઈપો અને કરવામાં આવેલું પ્લાસ્ટર સંપૂર્ણપણે તૂટી જતાં, અહીં આવતા હજારો લોકો અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે વહીવટના ધામમાં જ અંધેર નગરી જેવી સ્થિતિ ડભોઈ સેવા સદન ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત સહિત અંદાજે ૧૦ થી ૧૨ જેટલી વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે. દરરોજ સેંકડો ગ્રામજનો અહીં આવકનો દાખલો, રેશનકાર્ડ, સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય સરકારી કામકાજ માટે દૂર-દૂરના ગામડાઓથી આવે છે. નવાઈની વાત એ છે કે, જ્યાંથી સમગ્ર તાલુકાનો વિકાસ અને વહીવટ થાય છે, તે જ સંકુલના મુખ્ય પ્રવેશદ્વારની હાલત અત્યંત બિસ્માર છે.
મુખ્ય સમસ્યાઓ તૂટેલા પાઈપ અને જોખમી રસ્તો: ગેટ પાસે ગટર કે પાણીના પાઈપ તૂટી ગયા હોવાથી વાહનોના ટાયર ફસાઈ જવાના કિસ્સાઓ બની રહ્યા છે
અકસ્માતનો ભય: પગપાળા આવતા વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ રસ્તો જોખમી બન્યો છે. પ્લાસ્ટર ઉખડી જવાથી લોખંડના સળિયા કે ધારદાર પથ્થરો વાગવાની ભીતિ સેવાઈ રહી છે.
તંત્રની ઉદાસીનતા: એક તરફ સરકાર વિકાસની મોટી વાતો કરે છે, બીજી તરફ સેવા સદનના દરવાજે જ ‘અંધારું’ જોવા મળી રહ્યું છે. કામકાજ માટે આવતા લોકોમાં તંત્રની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો અને અરજદારોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં, જવાબદાર અધિકારીઓ જાગૃત બને અને યુદ્ધના ધોરણે આ ગેટ પાસેના રસ્તાનું સમારકામ (રીપેરીંગ) કરાવે. જો વહીવટી મથકનો રસ્તો જ સુરક્ષિત નહીં હોય, તો સામાન્ય જનતા કોની પાસે અપેક્ષા રાખશે?

