છોટાઉદેપુર સરપંચ સંઘ અને શિક્ષકો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડી.જે રાખવા બાબતે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
છોટાઉદેપુર તાલુકા સરપંચ સંધે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ ૦૧/૧૨/૨૦૨૪ ના રોજ ચિંતન શિબિર અને ૨૫/૧૨/૨૦૨૪ નાં રોજ લગામી ખાતે યોજાયેલ મહાપંચાયત અને તા- ૧૮/૦૧/૨૦૨૫ ની તાલુકા શાળા નં -૧ ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચાનાં અંતે લેવાયેલ સમાજના સુધારાત્મક નિયમોમા સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. કે છોટાઉદેપુર તાલુકાનાં ગામોમાં લગ્ન પ્રસંગમાં બિન જરૂરી વધુ પડતા ડી.જે લાવી દેખા-દેખી કરી સમાજ ખોટા ખર્ચા તરફ જઈ રહ્યો છે. અને બિન જરૂરી ખર્ચને કારણે આર્થિક તંગી તરફ જતા સમાજને રોકવાનાં અર્થે લગ્નમાં એક જ ડી.જે વગાડવાની પરવાનગી આપવમા આવે છે. છતા લગ્નમાં સગા વહાલા અલગથી ડી.જે લઇને આવતા એક જ લગ્નમાં ૫ થી ૧૦ ડી.જે થઈ જતા હોય છે. વધુમાં આ ડી.જે પરમીશન વગરના હોય છે. તો માત્ર એક જ ડી.જે લગ્નમાં વાગે અને પરવાનગી વગરનાં ડી.જે વગાડવા પર પ્રતિબંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે છોટાઉદેપુર તાલુકા સરપંચ સંધ અને આદિવાસી સમાજના આગેવાનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં સરપંચો શિક્ષકો અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

