વડોદરા (VADODARA) પૂર (FLOOD – 2024) માંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરને પુન: ધબકતું કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT HARSH SANGHAVI) વડોદરા આવી પહોંચ્યા છે. ગત રાત્રે 11 – 30 કલાકે તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ પ્રથમ તેમણે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યાર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું. દરમિયાન 18 કિમી તેઓ ફર્યા હતા. જે બાદ તેમણે ઝોનલ મીટિંગ લીધી હતી. જેમાં જે તે ઝોનના કોર્પોરેટર જોડાયા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની વડોદરા મુલાકાત સમયે આખુ તંત્ર ખડેપગે રહ્યું હતું. અગાઉ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના બે મંત્રીઓએ ડમ્પર બેસીને નીરિક્ષણ કર્યું હતું. તેનાથી તદ્દન વિપરીત ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગ્રાઉન્ડ પર જઇને, લોક સંપર્ક સાધીને સ્થિતી જાણવાનો અને ત્યાર બાદ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. તેમના પ્રયાસોને વડોદરાવાસીઓ બિરદાવી રહ્યા છે. આ તકે વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન તથા કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

