સુરેન્દ્રનગરના થાનગઢમાં વિઠ્ઠલ અલગોતર અને રાહુલ અલગોતરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. થાનગઢ તાલુકાના જામવાળી ગામના સરકારી વનવિભાગની 6 હેક્ટરથી વધારે જમીન પર ગેરકાયદે દબાણો ઉભા કરી દેવાયા હતા અને આ જમીન પર ગેરકાયદે હોટલ તેમજ નાની નાની દુકાનો ઉભી કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ અને નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની ટીમે આ દબાણો દૂર કરીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે. ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતાં દબાણ દૂર કરવામાં નહોતા આવ્યા. જેને લઇને તંત્રએ બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલાં મૂળીના ખાખરાળા નજીક ગેરકાયદે કાર્બોસેલના કૂવામાં ખાબકતાં લોડર ચલાવી રહેલા એક યુવકનું મોત થયું હતું. જે કૂવો વિઠ્ઠલ અલગોતર ચલાવતો હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ મૂળી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાઈ છે. વિઠ્ઠલ અલગોતર તાલુકા પંચાયતનો પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યો છે. સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદે ખનીજનું ખનન અને સરકારી જમીન પર ગેરકાયદે દબાણો ઉભા કરી દીધા હતા.
previous post

