ડભોઈ:કરુણા અભિયાન-2026’ અંતર્ગત વન વિભાગ અને NGO સજ્જ; ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પશુ દવાખાના એસ.ટી. ડેપો રોડ પર વિશેષ સેન્ટર શરૂ
ડભોઈ: આગામી ઉતરાયણ પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની કાતલ દોરીથી ઈજાગ્રસ્ત ન થાય અને જો ઈજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ડભોઈ વન વિભાગ દ્વારા ‘કરુણા અભિયાન-2026’ અંતર્ગત પૂર્વ તૈયારીઓની બેઠક યોજવામાં આવી હતી. એસ.ટી. ડેપો રોડ પર આવેલા પશુ દવાખાના ખાતે વન વિભાગ અને વિવિધ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
સવાર અને સાંજના સમયે પતંગ ન ચગાવવા વન વિભાગની અપીલ ડભોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) કલ્યાણીબેન ચૌધરીએ પતંગ રસિયાઓને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, પક્ષીઓના જીવનના રક્ષણ માટે પતંગ રસિયાઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે ખાસ કરીને પક્ષીઓના અવરજવરના સમયે એટલે કે વહેલી સવારે અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા સૂચન કર્યું હતું, જેથી નિર્દોષ પક્ષીઓ દોરીની ઝપેટમાં આવતા બચી શકે તજજ્ઞ ડોક્ટરો અને સ્વયંસેવકોની ટીમ તૈનાત આ અભિયાનને સફળ બનાવવા માટે ડભોઈ વન વિભાગે સ્થાનિક સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે સેન્ટરની સ્થાપના: પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે ડભોઈ પશુ દવાખાના ખાતે ખાસ સેન્ટર ઊભું કરાયું છે.
સંસ્થાઓનો સહયોગ: ‘નેચર સેવિંગ ફાઉન્ડેશન’ અને ‘નેચર હેલ્પ ફાઉન્ડેશન’ના યુવાનો આ અભિયાનમાં ખડેપગે રહેશે.
વિશેષ કેમ્પ: ડભોઈ શહેર ઉપરાંત વિશ્વવિખ્યાત વઢવાણા વેટલેન્ડ ખાતે પણ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તબીબી સહાય: પશુ ચિકિત્સાલયના ડો. નીરવ પટેલ અને તેમની ટીમ દ્વારા ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક ઓપરેશન કે જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે.
બેઠકમાં મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પૂર્વ તૈયારી બેઠકમાં ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર કલ્યાણીબેન ચૌધરી, જે.જી. બારોટ, હંસાબેન, કાજલબેન, રાજેશ્વરીબેન, બીટગાર્ડ જીગ્નેશભાઈ તેમજ પશુ ચિકિત્સક ડો. નીરવ પટેલ સહિત વન વિભાગનો સ્ટાફ અને પર્યાવરણ પ્રેમી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ડભોઈ પંથકમાં ઉતરાયણ પર્વ આનંદની સાથે જીવદયાના સંદેશ સાથે ઉજવાય તે માટે વન વિભાગ દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

