હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પૂજા-મહાઅભિષેક સાથે 2000 માટીના બાઉલ વિતરણ અભિયાનની શરૂઆત
અખંડ હિન્દુસ્તાનના આરાધ્ય દૈવત તથા હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની તારીખ મુજબની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિ. ખાતે ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંડળીના પ્રાંગણમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની વિધિવત પૂજા અને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મંડળીના હોદેદારો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સાથે જ આવનારી ગરમીને ધ્યાનમાં રાખીને મુગા પશુ-પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી માટીના બાઉલ (કુંડા)ના નિઃશુલ્ક વિતરણના મહાઅભિયાનની પણ શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિયાનનો પ્રારંભ જન્મજયંતિના દિવસે કરવામાં આવ્યો હતો.
આ અવસરે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે અંદાજે 2000 જેટલા માટીના બાઉલનું વિતરણ કરીને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ મુકીને પશુ-પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
મંડળીના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળાની ઋતુમાં પશુ-પક્ષીઓને પાણી મળે તે માટે આ સેવાકીય અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે અને વડોદરા શહેરની સેવાભાવી જનતા પણ તેમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની રહી છે.

