વાંકાનેડા ગ્રામપંચાયત સંબંધી થયેલી રજૂઆતોને અનુસંધાને આજ રોજ જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસને લઈને ગ્રામજનો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ મામલે અગાઉ તાલુકા કક્ષાએ તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએથી નિમાયેલ તપાસ ટીમે વાંકાનેડા ગ્રામપંચાયત ખાતે પહોંચી સંબંધિત દસ્તાવેજો, કામગીરી અને વહીવટી મુદ્દાઓની સ્થળ પર વિગતવાર તપાસ કરી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ તપાસની પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને હવે જિલ્લા તપાસ ટીમ દ્વારા વહેલી તકે વિગતવાર અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર ગામમાં આ મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામજનોનું માનવું છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમયસર અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ગામમાં પારદર્શકતા અને ન્યાયની સ્થાપના થશે.
ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતોના આધારે તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે સમગ્ર ગામની નજર જિલ્લા સ્તરના અંતિમ નિર્ણય પર કેન્દ્રિત છે.

