નસવાડી તાલુકામાં આવેલા રામપુરી ગામમાં નિગમ દ્વારા માઇનોર કેનલ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ ગામના ખેડૂતો દ્વારા તલ અને મકાઈ જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે નિગમ દ્વારા કોઈ પૂર્વ જાણ કર્યા વિના કેનલ બંધ કરી દેવાતા ખેતી પર સીધી અસર પડી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા ખેડૂતો મજબૂર બની વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થયા હતા. આ મુદ્દે રામપુરી ગામના ખેડૂતો સૂતો ચાર વિસ્તારમાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે માઇનોર કેનલમાં પાણી છોડવામાં નહીં આવે તો તલ અને મકાઈના પાકને ભારે નુકસાન થશે, જેના કારણે તેમની આવક પર સીધી અસર પડશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે યોગ્ય આયોજન વિના કેનલ બંધ કરવામાં આવી છે.
ખેડૂતો દ્વારા તંત્રને તાત્કાલિક કેનલમાં પાણી છોડવાની તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. જો માંગો સંતોષકારક રીતે નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.

