ડભોઇ નગરપાલિકામાં નવાપુરા અને બદરૂદ્દીન મોહલ્લાના રહીશોનો ઉગ્ર વિરોધ: બે મહિનાથી ખોદેલા ખાડાઓથી જનજીવન અસ્તવ્યસ્ત, નગરપાલિકાની લોલમ લોલ નીતિ સામે આક્રોશ.
ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલા નવાપુરા અને બદરૂદ્દીન મોહલ્લાના રહીશોએ પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરના કામ માટે ખોદવામાં આવેલા ખાડાઓના મામલે નગરપાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી આ કામ અધૂરું મૂકી દેવાયું છે અને ઠેર ઠેર ખોદેલા ખાડાઓના કારણે સમગ્ર વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
આ વિસ્તારના લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરવા માટે ડભોઇ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે નવાપુરા અને બદરૂદ્દીન મોહલ્લા ત્રણ રસ્તા પાસે ખોદેલા ખાડાઓથી અવરજવર કરવી અત્યંત કપરું બની ગયું છે. નિશાળે જતા બાળકો, મદ્રેસામાં જતા વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય રાહદારીઓને આ ખાડાઓના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે. નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે કામ શરૂ કર્યા પછી તેને અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે અને બે મહિના વીતી ગયા છતાં પરિસ્થિતિ જૈસે થે છે. નગરપાલિકાની આ બેદરકારી અને લોલમ લોલ વહીવટી નીતિથી ત્રસ્ત થયેલા સ્થાનિકોએ નગરપાલિકાની બહાર જ એકઠા થઈને તંત્ર વિરુદ્ધ સૂત્રચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોની રજૂઆત બાદ ડભોઇ નગરપાલિકા તંત્ર દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓનું કામ વહેલી તકે પૂરું કરી દેવામાં આવશે. જોકે, બે મહિનાથી ચાલી રહેલી તંત્રની ઢીલી નીતિને જોતાં, હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર ખરેખર ક્યારે આ ખાડાઓ પુરાવીને અધૂરા કામો પૂરા કરે છે અને લોકોને હાલાકીમાંથી મુક્ત કરે છે.

