આજે કુંવારીકાઓ દ્વારા સારા વર અને ઘરની કામનાઓ સાથે કરવામાં આવતા જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ એટલે પાંચમો દિવસ છે. પાંચ દિવસ સુધી અલૂણા વ્રત કરી કુંવારીકાઓ શિવ-પાર્વતીની પૂજા કરે છે અને પાંચમા દિવસે જાગરણ કરી બીજા દિવસે શિવાલયોમાં મહાદેવની પૂજા બાદ વ્રત ઉપવાસ ખોલે છે. ત્યારે આજે પાંચમા દિવસે વહેલી સવારથી કુંવારીકાઓ તથા જેઓના લગ્ન થઇ ગયા છે તેવી પરિણીતાઓ જેઓ જયા પાર્વતી વ્રતની ઉજવણી કરે છે તેઓ દ્વારા શહેરના માંજલપુર સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર આવેલું સહિત શહેરના શિવાલયોમાં પૂજન દર્શન કરવામાં આવ્યું હતું. આજે શહેરના બગીચાઓ, સોસાયટીમાં જાગરણ કરવામાં આવશે ક્યાંક અંતાક્ષરી રમીને તો ક્યાંક વિવિધ રમતો થકી આજે જાગરણ કરવામાં આવશે તથા આવતીકાલે સવારે શિવાલયોમાં પૂજન બાદ પાંચ દિવસના અલૂણા વ્રતને પૂર્ણ થયા બાદ ઉપવાસ ખોલશે. શહેરમાં અનેક સેવાભાવી લોકો દ્વારા આવતીકાલે વ્રત પૂર્ણ કરતી બહેનો માટે વિવિધ વાનગીઓ પણ આપવામાં આવશે.

