શહેરના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા પાસે અર્શ પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં તેનું વિજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું હતું. તે બાદ ફરી વિજ જોડાણ મેળવવા માટે ફાયર બ્રિગેડની પરવાનગી માટે ફાઇલ મોકલવામાં આવી હતી. જેના ડોક્યૂમેન્ટ્સ તપાસતા એનઓસી બોગસ હોવાનું ફલિત થયું હતું. જેમાં તત્કાલિન ઇન્ચાર્જ ફાયર ઓફિસર નીકુંજ આઝાદની સહી હતી. આ ઘટના સપાટી પર આવતા હાલના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ દ્વારા રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ પ્રકારે કોઇ પણ નોટીસ ઇશ્યુ કરવામાં નહીં આવી હોવાનું ખુલ્યું હતું.
મારા નામે બોગસ ફાયર એનઓસી ફરતી થઇ
આ અંગે હાલના ફાયર ઓફિસર મનોજ પાટીલે મીડિયાને જણાવ્યું કે, આગની ઘટના બાદ ફરી વિજ પુરવઠો મેળવવા માટે ફાઇલ ફાયર બ્રિગેડમાં આવી હતી. જેમાં રજુ કરવામાં આવેલી ફાયર એનઓસી બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે અર્શ પ્લાઝાના સંચાલકોને નોટીસ આપીને ખુલાસો પુછવામાં આવ્યો છે. આ અંગે તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે મીડિયાને જણાવ્યું કે, મારા નામે બોગસ ફાયર એનઓસી ફરતી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને રાવપુરા પોલીસ મથકમાં અરજી આપી છે.

