છોટાઉદેપુર જિલ્લોના નસવાડી તાલુકો હેઠળ આવેલા બોરવાણી ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવને કારણે ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
સ્થાનિક માહિતી મુજબ શાળામાં એક પણ શિક્ષક હાજર ન હોવાથી બાળકો અનિયમિત રીતે શાળામાં સમય પસાર કરતા જોવા મળે છે. કોઈ બાળક એક બાજુ તો કોઈ બીજી બાજુ ફરતો જોવા મળે છે, જેના કારણે શિક્ષણનો પાયો નબળો પડતો હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરોડોના બજેટ અને વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત સાવ અલગ દેખાઈ રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.
માહિતી અનુસાર શાળામાં માત્ર એક સંચાલક હાજર જોવા મળ્યો હતો, જ્યારે શિક્ષકોની ગેરહાજરીને કારણે બાળકો રઝળતી હાલતમાં જોવા મળ્યા હતા.
આ મુદ્દે એડવોકેટ નૌફિલ મેમણએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “સરકાર શિક્ષણના વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં ગામડાંના વિસ્તારોમાં બાળકો શિક્ષકો વગર ભણી રહ્યા છે. જો ખરેખર વિકાસ થયો હોય તો મંત્રીશ્રીએ નસવાડી તાલુકામાં આવીને સ્થિતિ જોવા જોઈએ. બાળકોને આમ રામ ભરોસે છોડી દેવું શરમજનક બાબત છે.”
સ્થાનિક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે બોરવાણી ગામના આદિવાસી બાળકોને શિક્ષકો વગર કેટલા સમય સુધી ભણવું પડશે અને શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક પગલાં લેશે કે પછી માત્ર કાગળ પરના વિકાસના દાવાઓ જ ચાલુ રહેશે.

