રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનની હાલત દયનીય બની ગઈ છે. માનવીની અંતિમ વિદાય માટેનું પવિત્ર સ્થાન આજે અસામાજિક તત્વોનું અડ્ડો બની ગયું હોવાનું ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે.
સ્મશાન વિસ્તારમાં ઠેર-ઠેર દેશી દારૂની પોટલીઓ, બિયરના ખાલી ટીન તેમજ દારૂની બોટલો જોવા મળતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. મૃતકોના અંતિમ સંસ્કાર માટે આવનાર પરિવારોને આવી અસંવેદનશીલ અને અશોભનીય સ્થિતિનો સામનો કરવો પડે છે, જે સામાજિક રીતે ગંભીર મુદ્દો બની ગયો છે.
આ બાબતે જામકંડોરણાના જાગૃત નાગરિક નિલેશભાઈ રવજીભાઈ ચૌહાણ દ્વારા ગ્રામ પંચાયત તેમજ ઉચ્ચ અધિકારીઓને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જામકંડોરણા પોલીસ દ્વારા પણ આ ગંભીર મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે અસામાજિક તત્વોના હોત્સાહમાં વધારો થઈ રહ્યો છે. પવિત્ર સ્મશાનમાં આવી પ્રવૃત્તિઓ ચાલુ રહેતા સમાજની લાગણીને ઠેસ પહોંચી રહી છે.
હવે સવાલ ઊભો થયો છે કે શું પ્રશાસન અને પોલીસ તંત્ર આ પવિત્ર સ્થળની ગૌરવતા જાળવવા માટે કડક પગલાં લેશે કે પછી સ્થાનિકોને આવી સ્થિતિ સહન કરવી પડશે.

