વડોદરામાં સરકારી આવાસ ન મળતા ઘરનું સ્વપ્ન અધૂરું રહેતાં સ્થાનિકોએ એફોર્ડેબલ હાઉસિંગની કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂઠાંના ઘર બનાવી ધરણા પર બેસેલા રહેવાસીઓએ તાત્કાલિક નિવાસની માંગ ઉઠાવી હતી.
ગોરવા વિસ્તારમાં ચાર મહિના અગાઉ પાલિકાએ દબાણરૂપ મકાનો તોડી પાડ્યા હતા, જેના કારણે અંદાજે ૨૫૦ પરિવારજનો રાતોરાત રસ્તા પર આવી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારો દ્વારા સરકારી આવાસ મેળવવા માટે રૂ. ૫ હજારની ડિપોઝિટ રકમ પણ ભરવામાં આવી હોવાનું જણાવાયું છે.
સ્થાનિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યા હોવા છતાં યોગ્ય લાભાર્થીઓને આપવામાં આવતા નથી. તેઓએ વહીવટીતંત્ર સામે ન્યાયની માંગ કરી હતી.
વિરોધકારીઓએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

