મહાશિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં શહેરના શાકભાજી બજારોમાં અપેક્ષિત રોનક જોવા મળતી નથી. સામાન્ય રીતે આ તહેવાર પૂર્વે ફરાળી શાકભાજીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
શાકભાજીના વેપારીઓના જણાવ્યા મુજબ, શક્કરિયા, બટાકા, ધાણા અને મરચાં જેવા ફરાળી શાકભાજીના ભાવ નિયંત્રણમાં અને સસ્તા હોવા છતાં ગ્રાહકોની હાજરી પાંખી રહી છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, અગાઉ મહાશિવરાત્રીના બે દિવસ પહેલા લોકો 5 થી 20 કિલો સુધી શક્કરિયાની ખરીદી કરતા હતા, જ્યારે હાલ લોકો માત્ર 500 ગ્રામથી 1 કિલો સુધી જ ખરીદી કરી રહ્યા છે.
વેપારીઓએ વધુમાં ઉમેર્યું કે ગત વર્ષોની તુલનામાં આ વખતે વેપાર અડધો પણ રહ્યો નથી અને બજારમાં ઘરાકી ખૂબ જ ઓછી છે. મોટા મંદિરોમાં પ્રસાદી રૂપે શક્કરિયા-બટાકાનું શાક બનાવવામાં આવતું હોવા છતાં ત્યાં પણ માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજારમાં ઓછી ખરીદીના કારણે નાના વેપારીઓને આર્થિક અસરનો સામનો કરવો પડી રહ્યો છે અને તહેવારની સીઝનમાં પણ બજારમાં સુસ્તીનો માહોલ યથાવત રહ્યો છે.

