ગણતંત્ર દિવસ નિમિત્તે માનવસેવાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વર્ષોથી સમાજના નબળા અને વંચિત વર્ગ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપતા જગદીશભાઈ માંખીજાણી દ્વારા સંચાલિત માંખીજાની ચેરીટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 250 થી 300 જેટલા શ્રમજીવી ભાઈ-બહેનોને ગરમાગરમ ભોજન અને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો પર નૃત્ય-ગાન સાથે સૌએ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી ઉજવણીને યાદગાર બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે અનાજ કીટ, ચંપલ, સાડી તથા કપડાંનું વિતરણ સહિત અનેક સામાજિક સેવાઓ કરવામાં આવે છે, જે સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છે.
આ ભવ્ય કાર્યક્રમમાં ટ્રસ્ટની ટીમ સાથે સાથે અનેક મહાનુભાવો તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ દેશભક્તિભાવ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

