શહેરમાં દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કામૂક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં એક યુવક પર કેટલાક લોકો તૂટી પડયા હતા. આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ યુવક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. આ મામલે પાણીગેટ પોલીસે હવે શોભાયાત્રાના આયોજકો સહીત ડીજેના સંચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ગત પહેલી ઓગસ્ટના રોજ દશામાની આગમન હોવાથી ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન કિશનવાડી વિસ્તારના ગધેડા માર્કેટ પાસે ડીજેમાં નાચતા સમયે પિયુષ ઠાકોર નામના યુવક પર નજીવી બાબતે કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિયુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પિયૂષનું મોત નીપજ્યું છે.
આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પાણીગેટ પોલીસે હત્યા સહિતના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ત્રણ જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ સાથે જ પાણીગેટ પોલીસ દ્વારા આયોજક સંતોષ બુધાભાઈ માછી, સહ આયોજક વિષ્ણુ કિરીટભાઈ વસાવા, ઉમંગ રાજેશભાઈ વસાવા, મહેશ અશ્વિનભાઈ વસાવા, રતન હિંમત રાવ પાટીલ તેમજ સુપર ઝનકાર બેન્ડના સંચાલક સતીશ રાણા, ન્યુ ભટ્ટ સાઉન્ડ સિસ્ટમના સંચાલક ઉત્કર્ષ ભટ્ટ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

