શાબાન મહિનાની ૧૫મી ચાંદની રાતે ઉજવાતી શબ-એ-બરાત નિમિતે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મસ્જીદો અને દરગાહોમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. ‘નજાત અને માફીની રાત’ તરીકે ઓળખાતી આ પવિત્ર રાતે મુસ્લિમ સમુદાયના લોકો રાતભર ઇબાદત અને દુઆઓમાં લીન રહ્યા હતા.
ધાર્મિક માન્યતા અનુસાર આ રાતે અલ્લાહ એક વર્ષ માટેનું રિઝ્ક લખે છે અને સચ્ચા દિલથી તૌબા કરનારાઓને માફી આપે છે, જેના કારણે મસ્જીદોમાં કુરાન તલાવત, નફલ નમાજ અને વિશેષ દુઆઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શબ-એ-બરાતના અવસરે મોટી સંખ્યામાં લોકો કબ્રસ્તાનોમાં પણ પહોંચ્યા હતા, જ્યાં પોતાના અવસાન પામેલા સ્વજનો માટે ફાતેહા અને દુઆ અદા કરી શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરાની અનેક મસ્જીદો અને ધાર્મિક સ્થળોને આકર્ષક લાઈટ્સથી સજાવવામાં આવ્યા હતા. ભક્તોમાં પરસ્પર ભાઈચારો અને ભક્તિભાવ ઝળહળતો જોવા મળ્યો હતો. લોકો એકબીજાને મીઠાઈ અને હળવાડી આપીને શબ-એ-બરાતની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.

