ડભોઇ આગામી રવિવારે શિવભક્તોનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રી અને ૧૯ ફેબ્રુઆરીથી મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. આ બંને ધાર્મિક પર્વોની ઉજવણી ડભોઇ શહેરમાં કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં માર્ગદર્શન વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ કુમાર અગ્રવાલની સૂચના મુજબ અને ડભોઇ વિભાગીય ડીવાયએસપી (DySP) આકાશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે આ બેઠક યોજાઈ હતી. જેમાં ડભોઇના પીઆઈ (PI) જે.એમ. ચાવડા દ્વારા બંને સમુદાયના આયોજકો અને અગ્રણીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
કાયદો અને વ્યવસ્થા: તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
શાંતિપૂર્ણ ઉજવણી: મહાશિવરાત્રીની શોભાયાત્રા અને રમઝાન માસની બંદગી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી.કોમી એકતાનો સંદેશ: આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ટ્રાફિક અને સુરક્ષા: ભીડભાડ વાળા વિસ્તારોમાં ટ્રાફિકનું નિયમન અને સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

