સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિકટ આવતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો મેદાનમાં ઉતરી પડ્યા છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. આ સંદર્ભમાં આજે વોર્ડ નંબર 16માં કેટલાક કહેવાતા સામાજિક કાર્યકરો દ્વારા આગેવાની લઈ વિસ્તારના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
આ કાર્યકરોએ વિસ્તારના કેટલાક નાગરિકોને એકત્રિત કરી ભાજપના એક હારેલા ઉમેદવારની તરફેણ સાથે વર્તમાન કાઉન્સિલરોને નિશાન બનાવ્યા હતા અને વિસ્તારમાં કોઈ સુવિધાઓ નથી તેવી રજૂઆત કરી હતી.
પરંતુ એક જવાબદાર માધ્યમ તરીકે જ્યારે સ્થાનિક નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે નાગરિકોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં રોડ, પેવર બ્લોક, પાણી પુરવઠા તેમજ ડ્રેનેજ લાઈનો જેવી સુવિધાઓ કોંગ્રેસના વોર્ડ નંબર 16ના કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવના પ્રયત્નોથી ઉપલબ્ધ બની છે. નાગરિકોએ આ પણ સ્વીકાર્યું હતું કે વિસ્તારના સુખ-દુઃખના પ્રસંગો તથા ધાર્મિક કાર્યક્રમોમાં ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ હંમેશા હાજર રહે છે.
ઉલ્લેખનીય છે કે આ જ વોર્ડમાં ભાજપના બે કાઉન્સિલર પણ છે, જેમાં સ્નેહલબેન પટેલ (પૂર્વ સ્થાયી સમિતિ સભ્ય) અને ઘનશ્યામભાઈ સોલંકી (વર્તમાન સ્થાયી સમિતિ સભ્ય)નો સમાવેશ થાય છે. સ્થાયી સમિતિના સભ્ય હોવા છતાં, નાગરિકોની પ્રતિક્રિયા એવી રહી કે ચૂંટણી બાદ બંને કાઉન્સિલરો વિસ્તાર તરફ ખાસ ધ્યાન આપતા નથી અને તેઓ ક્યારેય નજરે પડ્યા નથી.
વિસ્તારના નાગરિકોને એકત્રિત કરી કાઉન્સિલરો વિરુદ્ધ મોરચો કાઢનાર સાગર ઠાકોરે પણ વિસ્તારમાં યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગે કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે આપેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. નોંધપાત્ર છે કે સમૂહ લગ્ન દરમિયાન મેદાનમાં પાણી ભરાઈ જતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તાત્કાલિક દોડી આવી કાર્યક્રમને યોગ્ય બનાવવામાં સહાયરૂપ થયા હતા.
રાજકારણમાં આવા આક્ષેપો અને વિરોધ સામાન્ય ગણાય છે, પરંતુ સ્થાનિક નાગરિકોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે કોઈના પ્રભાવમાં આવતાં પહેલાં કાઉન્સિલરોના સમગ્ર કાર્યકાળ દરમિયાન કોણ વિસ્તારમાં વાસ્તવિક રીતે કામે આવ્યું છે તે બાબત પર વિચાર કરવો જરૂરી છે.

