છોટાઉદેપુર જિલ્લાના બોપા ગામમાં નાયક આદિવાસી સમાજને સ્મશાન માટે વેરી જમીન ફાળવવાની સમસ્યા લાંબા સમયથી યથાવત રહેતા આખા સમાજમાં નારાજગી ફેલાઈ છે. અનેક વખત જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ ચોક્કસ પગલું લેવામાં ન આવતા આજે સમાજના લોકોએ સીધી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો.
આજે બોપા ગામના 20–25 જેટલા લોકો છોટાઉદેપુર જિલ્લાના સેવાસદન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમાજના લોકોએ જણાવ્યું કે—
“અમારે માત્ર અમારા સમાજના લોકોને અંતિમ સંસ્કાર માટે સ્મશાન તરીકે વેરી જમીન જોઈએ છે.”
“વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છીએ, પણ તંત્ર કાનમાં તેલ નાખીને બેઠું છે.”
સમાજના આગેવાનોનું કહેવુ છે કે તેઓ પોતાના સ્વજનોના અંતિમવિધિ ગૌરવપૂર્ણ રીતે કરી શકે તે માટે તંત્રએ આ પ્રશ્નને માનવીય અભિગમથી લઈ તાત્કાલિક જમીન ફાળવણી કરવી અત્યંત જરૂરી છે.
ગામલોકોની માંગ છે કે વહીવટી તંત્ર આ મુદ્દાને તરત જ ગંભીરતાથી લઈ નાયક સમાજને સ્મશાન માટે વેરી જમીન ફાળવે, જેથી મરણ પામેલા સ્વજનોની અંતિમવિધિ યોગ્ય રીતે કરી શકાય.

