સમલાયા સ્થિત CCI (કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) સેન્ટર પર કપાસ ખરીદી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે જાવલા ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે 12 ડિસેમ્બર 2025થી હજુ સુધી તેમને કપાસનું ચુકવણું મળ્યું નથી, જેને કારણે તેઓમાં ભારે રોષ ફેલાયો છે.
ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ‘ઘટ’ના નામે પ્રતિ ક્વિન્ટલ ત્રણ કિલો કપાસ કાપવામાં આવી રહ્યો છે. એક જ પરિવારના ચાર ખેડૂતોના કુલ નવ ક્વિન્ટલ કપાસમાં અંદાજે રૂ. 72,000ની કપાત કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ વિરોધ દરમિયાન ખેડૂતોનો આક્ષેપ હતો કે સમલાયા CCI સેન્ટર પર જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા ખેડૂતોને યોગ્ય જવાબ મળતો નથી. આ દરમિયાન ખેડૂત વિજય પટેલે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
વિજય પટેલે ચીમકી આપતાં જણાવ્યું હતું કે, “જો અમને ન્યાય નહીં મળે તો ડભોઇ CCI સેન્ટર જઈને આત્મવિલોપન કરીશ.” આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ખેડૂતોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તેમજ CCI અને તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ મામલે એપીએમસી સેક્રેટરી જીજ્ઞેશ પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના આક્ષેપોની તપાસ કરવામાં આવશે અને જે કોઈ ગેરરીતિ બહાર આવશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ ?

