મ્યાંનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટા રેકેટનો ભંડાફોડ થયો છે, જેમાં વડોદરા જિલ્લાના 10 યુવકો સહિત દેશભરના 100થી વધુ ભારતીય યુવકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. નોકરીની લાલચ આપી યુવકોને મ્યાંનમાર લઈ જવામાં આવ્યા બાદ તેમને બંધક બનાવી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
મ્યાંનમારમાં ફસાયેલા ભારતીય યુવકોએ પોતાનો દુઃખદ હાલ વર્ણવતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વિડીયોમાં યુવકોએ વતન પરત આવવા માટે ભારત સરકાર અને સંબંધિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી છે. યુવકો સાથે અમાનવીય વર્તન થતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના શાઢાસાલ ગામના અનેક યુવકો પણ આ રેકેટમાં ફસાયા હોવાનું સામે આવતા ગામમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. શાઢાસાલ ગામના પીડિત યુવકોના પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મળી મદદ માટે રજૂઆત કરી હતી.
પરિવારજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર મોકલી મ્યાંનમારમાં ફસાયેલા યુવકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ આ મામલે સરકાર તરફથી શું કાર્યવાહી થાય છે તેની તરફ સૌની નજર મંડાઈ છે.

