છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે વધતા જતાં દબાણોને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનદારોના વધારાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પાવીજેતપુર ગામના મુખ્ય માર્ગ અને બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુકાનદારો દ્વારા રસ્તા પર શેડ, ટેન્ટ, લારીઓ સહિતના વધારાના દબાણો કરવામાં આવતા હતા, જેના કારણે વાહન વ્યવહાર તેમજ પાદચારીઓ માટે ભારે મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ અગાઉથી દુકાનદારોને સૂચના આપ્યા બાદ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
કાર્યવાહી દરમિયાન રસ્તા પર મુકાયેલા શેડ, ટેન્ટ અને અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા દુકાનદારોને ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં ફરીથી દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

