ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોના ગળા ન કપાય અને કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ફ્લાયઓવર અને બ્રિજ પર લોખંડના સુરક્ષા તાર લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
સામાન્ય રીતે સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેશનના સહયોગથી થતી આ કામગીરી આ વર્ષે ઉતરાયણ પૂર્વે જ વહેલી શરૂ કરાઈ છે, જેને લઈને તંત્રની આગોતરી તૈયારી સામે આવી છે. આ પગલાંથી વાહનચાલકોની સુરક્ષામાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોર્પોરેશનની આ કામગીરીને બિરદાવવાની સાથે જ વિપક્ષ તરફથી તંત્ર પર કટાક્ષ પણ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉતરાયણ માટે બ્રિજ પર સેફ્ટી તાર લગાવવાનું કામ પ્રશંસનીય અને સમયસર છે, પરંતુ જો આવી જ સતર્કતા અને ઝડપ શહેરના તૂટેલા રોડ-રસ્તા, ઉભરાતી ગટર અને પાણીના લીકેજ જેવી ગંભીર સમસ્યાઓ ઉકેલવામાં દાખવવામાં આવે તો પ્રજાને વધુ સુવિધા મળી શકે.
ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી અકસ્માતોની સંભાવના ઘટાડાશે અને લોકો નિર્ભયતાથી ઉત્સવ ઉજવી શકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

