નસવાડી ખાતે આવેલ પ્રાચીન શ્રી રામદેવપીર મંદિરનો ૧૮મો પાટોત્સવ આજે ભક્તિ, શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી સમગ્ર તાલુકાને ભક્તિમય બનાવી દીધો હતો.
આ પ્રસંગે નસવાડી શિવ મંદિરથી “જય રામદેવપીર”ના જયઘોષ સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ વરઘોડામાં જોડાઈ નગર પરિક્રમા કરી શ્રી રામદેવપીર મંદિર પ્રાંગણમાં પહોંચીને દર્શન કરી ધર્મલાભ લીધો હતો.
પાટોત્સવ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના, ધજા આરોહણ, મહાઆરતી તેમજ ભજન-કીર્તન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હજારો ભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો.
આ ધાર્મિક કાર્યક્રમમાં મંદિર સમિતિ, ગ્રામ પંચાયત, સ્થાનિક આગેવાનો, યુવાનો તથા સેવાભાવી સંસ્થાઓનો નોંધપાત્ર સહકાર રહ્યો હતો. સુરક્ષા, સ્વચ્છતા અને વ્યવસ્થાનું સુચારુ આયોજન હોવાથી પાટોત્સવ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.
આ પાવન પાટોત્સવે સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કારનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે મંદિર સમિતિ દ્વારા સહયોગ આપનાર તમામ દાતાઓ, સ્વયંસેવકો અને ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

