ઝઘડીયા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલીસએ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
ગત 13 ઓગસ્ટના રોજ શીયાલી-બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રક (નં. GJ-16-W-9345)એ બેદરકારીપૂર્વક બાઈકને ટક્કર મારી, જેમાં બાઈકસવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસાં સામે આવતા પોલીસએ ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી હતી.ભરૂચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ઝઘડીયા જી.આઈ.ડી. સી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓને શોધી કાઢ્યા છે.
આ ઘટનામાં તપાસ દરમિયાન ખુલ્યું કે ડ્રાઇવર સુનિલ નાનુભાઈ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવા અને અન્ય સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. રણજીત વસાવાના ઇશારે ટ્રક ચલાવી ભોગીલાલને ઇરાદાપૂર્વક ચઢાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત,આરોપીઓ દિલીપ જાલમસિંગ વસાવા ઉર્ફે ડી.જે. અને નિપુલ રમેશભાઈ વસાવાએ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ ડિલીટ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપીને ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.હાલમાં પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડી સમગ્ર હત્યાનું કાવતરું રચનાર સરપંચ પતિ રતિલાલને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શીયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે અને મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા જેથી તેઓ તેમના વિરોધી હતા. તેમની વચ્ચે રાજકીય અદાવત પહેલાથી જ હતી.બંને વચ્ચે અનેક વખતે બોલાચાલીઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે .જેથી આ કિન્નાખોરીને કારણે ભોગીલાલની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

