સુરેન્દ્રનગર:આજકાલ ચોરીના કેસો વધ્યા છે તેમ જાણવા મળે છે પરંતુ ચોરી એ માત્ર ઘરમાં રહેલા સામાન, કેશ કે પછી ઘરેણાંની જ નથી થતી પરંતુ હવે તો આ સમયમાં ખનીજની પણ ચોરી થવા લાગી છે. મળતી માહિતી અનુસાર, ચોટીલા નાયબ કલેકટર દ્વારા મુળી તાલુકાના ધોળીયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવામાં ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત સાતેક કૂવામાંથી ચાર કૂવામાં 38 મજૂરોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને 36 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુળી અને થાન પંથકમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ આવેલું છે ત્યારે ખનીજ ચોરો દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોવાની અનેક ફરિયાદ સામે આવી હતી. થાન પંથકમાં કાર્બોસેલ તેમજ મુળી પંથકમાં સફેદ માટી અને કાર્બોસેલ જથ્થો પુષ્કળ પ્રમાણમાં હોવાથી અહીં ભૂ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરતા હોય છે ત્યારે ચોટીલા નાયબ કલેકટર અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ધોળીયા ગામની સીમમાં ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન પર કાર્બોસેલનું ખનન કરતા હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.
રેડ દરમ્યાન ચાર ટ્રેક્ટર, એક કમ્પ્રેસર અને છ ચરખી મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મૂડી મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો છે. તેમજ સાત કૂવામાંથી ચાર કૂવામાં 38 જેટલા મજૂરો કુવામાંથી ખનીજ કાઢતા હોવાનું ધ્યાને આવતા તેઓને રેસ્ક્યુ કરી તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા
તપાસ દરમ્યાન ગેરકાયદેસર કુવાઓ અંકુભાઇ થરેસા, સુનિલ અનાભાઇ કુચડીયા અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા ખનીજ ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા તેઓની સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તથા ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રુલ 2017 ના નિયમ 21 (3) મુજબ વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા

