આગામી તા.22 સપ્ટેમ્બર થી શારદીય આસો નવરાત્રિ નો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે તા.24 અને 25 સપ્ટેમ્બર ના રોજ ત્રીજ બે દિવસ છે એટલે કે તૃતીયા વૃદ્ધિ તિથિ હોવાથી દસ દિવસ નવરાત્રિ છે. સંસ્કારી નગરી અને કલાનગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીની નવરાત્રી અને પારંપરિક ગરબાની ખ્યાતિ દેશ વિદેશમાં છે. નવરાત્રિ ના ગરબા રમવા, માણવા માટે એન આર આઇ તો આવે જ છે તદ્પરાંત અન્ય રાજ્યોમાંથી ગરબા રસિકો પણ આવતા હોય છે. બોલીવુડ અને ટેલિવુડને પણ વડોદરા ની નવરાત્રીનું ખાસ આકર્ષણ હોય છે તેથી જ વડોદરાના પારંપરિક ગરબાને ફિલ્મમાં અને ટેલિવિઝન પર આવતી સિરિયલોમાં લેવામાં આવે છે.નવરાત્રિના ગરબા રમવા યુવાવર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને હવે ગત શનિવાર રવિવાર થી શહેરના બજારોમાં મળતી ચણિયાચોળી, ઓક્સોડાઇઝ જ્વેલરી ખરીદવા માટે યુવતીઓ,મહિલાઓ, યુવાવર્ગ ની ભીડ જામતા વેપારીઓ પણ ખુશખુશાલ થઇ ગયા છે. આ વર્ષ બજારોમાં ગામઠી વર્ક, ડિજિટલ પ્રિન્ટ વાળા ચણિયાચોળી, 12 થી 15 મીટર ઘેરવાળા ચણિયાચોળી,મીરરવર્ક,પટોલા પ્રિન્ટ વિગેરે સાથેના ચણિયાચોળી રૂ.1,000 થી રૂ.1800 સુધીમાં ઉપલબ્ધ છે. વેપારીઓ હવે ખરીદી નિકળતાં ખુશ છે જ્યારે કેટલાક યુવાવર્ગને ચણિયાચોળી આ વર્ષે થોડી મોંઘી પણ લાગી રહી છે પરંતુ ગરબા રમવા માટે ભાવ ગમે તે હોય સંસ્કારી નગરી ના નગરજનોનો થનગનાટ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

