પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા આયોજિત “સર સયાજીરાવ ફેસ્ટિવલ – વાર્ષિક સમારંભ 2025”**નું ભવ્ય પ્રસ્તુતિઓ દ્વારા પ્રથમ દિવસ થઈ. તા. 10 અને 11 માર્ચ 2025ના રોજ પ્રો. સી. સી. મહેતા પ્રેક્ષાગૃહ, વડોદરામાં આ બે દિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે વાઇસ ચાન્સેલર પ્રોફ. ધનેશ પટેલ ની ઉપસ્થિતિમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યના મનમોહક પ્રસ્તુતિઓએ શ્રોતાઓ અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
આ મહોત્સવની પ્રારંભિક સંધ્યા “આંતરરાષ્ટ્રીય મહિલા દિન” ની ઉજવણી સાથે સુશોભિત થઈ. મહિલાશક્તિ, સંગીત અને નૃત્ય કળાને સમર્પિત આ કાર્યક્રમને દર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો.
યુનિવર્સિટી સોંગ થી શરૂ થયેલ આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના બાદ “મેલોડીઝ ઓફ સ્પ્રિંગ” ના સ્વરલહેરી સંગીત સત્રે મહોત્સવની શરૂઆત કરી, જેમાં ડૉ. ભાવિક માંકડ, ડૉ. અશ્વિનિ કુમાર સિંહ રાગ બસંત કેદાર માં વિભિન્ન બંદીશો તેમજ તાન, આલાપ ની પ્રસ્તુતિ થઈ અને અંત માં રાગ દેશ માં ચતુરંગ થી શ્રોતાઓ ને નાદભ્રહ્મ નો આસ્વાદ કરાવ્યો. દ્રિતીય પ્રસ્તુતિ તબલા વિભાગ દ્વારા શ્રી દ્વિજ ગંધર્વ અને શ્રી ધનંજય વેકારિયા દ્વારા રચિત દાસ્તાન એ રૂપક માં તબલા ની વિભિન્ન પરાન, કાયદા, રેલા થકી શાસ્ત્રીય સંગીતની સુગંધથી હોલને ભીંજવી દીધો.
નૃત્યપ્રેમીઓ માટે પ્રસ્તુત વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ શ્રેષ્ઠ અને ભાવનાત્મક સંયોગ બની. ડૉ. સ્મૃતિ વાઘેલા દ્વારા સંકલિત “દેવી સ્તુતિ”, ડૉ. અમિ પંડ્યા દ્વારા “નાયક ચરિતમ”, શ્રીમતી ધ્વનિ શાહ દ્વારા “પુષ્પાંજલિ”, ડૉ. દિવ્યા પટેલ દ્વારા “કૃતાંતની”, તેમજ ડૉ. જલ્પા પટેલ દ્વારા “વંદે માતરમ”, “દેવી સ્તુતિ” અને “હોલી” જેવા લોકપ્રિય શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિઓએ શાસ્ત્રીય પરંપરાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી. અંત માં “નૃત્ય તાલ રાગ માળા”, જે વાસુ પરીખ અને ટીમ દ્વારા રજુ થયું હતું, તેમાં હવેલી સંગીત ની બ્રજ ની પ્રાચીન પરંપરા એ પુષ્ટિ માર્ગીય સંપ્રદાય ની ભક્તિમય માહોલ થી મહોત્સવના શ્રેષ્ઠ પળો પૈકી એક બની રહ્યું.
આ મહોત્સવનું આયોજન સુસંગત રીતે શક્ય બને તે માટે સંયોજક શ્રી ધનંજય વેકારિયા, સહ-સંયોજક શ્રીમતી હેતલ આર્યા, સહ-સંપાદક શ્રી જયદીપ લકુમ અને સંપાદક ડૉ. નિતિન પરમાર એ મહત્વની ભૂમિકા નિભાવી. મહોત્સવનું સમગ્ર માર્ગદર્શન પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભવસર દ્વારા આપવામાં આવ્યું.
પ્રોફેસર ગૌરાંગ ભવસરના મતે “સર સયાજીરાવ ફેસ્ટિવલ” માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પણ યુવા પેઢી માટે શાસ્ત્રીય કલા ક્ષેત્રે આગળ વધવા માટેનું સશક્ત મંચ છે. આ મહોત્સવ વડોદરાની શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પરંપરાને સમર્પિત હોય, જેમાં નવા કલાકારોને પ્રદર્શન કરવાની તક મળે છે અને તેઓ ભારતીય કલા પરંપરાને ઉજવણી સાથે આગળ લઈ જઈ શકે છે.
આ બે દિવસના સંગીત અને નૃત્ય મહોત્સવ ના પ્રથમ દિવસે કલાપ્રેમીઓના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું. શ્રોતાઓ અને દર્શકો માટે આ એક અવિસ્મરણીય સાંસ્કૃતિક યાત્રા બની, જેની સુંદરતા અને સંસ્કૃતિના રંગો ખૂબ લાંબા સમય સુધી યાદ રહેશે.

