પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓની બદલી સમયંતરે થવી નિશ્ચિત હોય છે. આપણે અનેકો કિસ્સા જોયા અને સાંભળ્યા હશે, કે જ્યારે કોઇ અધિકારીની પોલીસ સ્ટેશન અથવા અન્ય શહેરમાં બદલી થતી હોય ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે. પરંતુ કોઇ અધિકારીની બદલી પર સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને હિતેચ્છુ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવે તેવું ક્યારેય જોયું નહીં હોય. પરંતુ વડોદરામાં આવી જ એક ઘટના સામે આવી છે.
પાંચ પૈકી ઇન્સ્પેકટર હરિત વ્યાસની ટ્રાફિકમાં બદલી ટોક ઓફ ધ ટાઉન
વડોદરા શહેરના પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની ગતરોજ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આંતરીક બદલીનો હુકમ કર્યો હતો. આ પાંચ ઇન્સ્પેકટરની બદલીમાં સૌથી ચર્ચાસ્પદ નામ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરિત વ્યાસનું હતુ. ગત રાત્રે આંતરીક બદલીનો ઓર્ડર થતા વડોદરા શહેર અને પોલીસ બેડામાં ઇન્સ્પેક્ટર હરિત વ્યાસની બદલીને લઇ ભારે ચર્ચા જાગી હતી. આ સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે નિરાશા ફેલાઇ હતી.
પી.આઇ હરીત વ્યાસ વર્ષ 2024માં ફરી વડોદરા આવ્યાં
પોલીસ ઇન્સ્પેકટર હરિત વ્યાસ વડોદરામાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચુંક્યાં છે. વડોદરામાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચુંક્યાં હોવાથી ગુજરાત એ.ટી.એસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો બહોળો અનુભવ અને કામગીરી કર્યા બાદ તેઓની ગત વર્ષ 2024માં ફરી વડોદરા ખાતે બદલી કરવામાં આવી હતી. વડોદરા આવ્યાં બાદ સૌ પ્રથમ તેઓને પાણીગેટ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં ત્યારબાદ થોડા મહિના પૂર્વે તેમણે કારેલીબાગ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઇ હતી.
આવી ઘટના પ્રથમ વખત બની
ગુનેગારો સાથે તેમની ભાષામાં વાત કરી પાઠ ભણાવવો, કોઇના તાબે થવું નહીં અને કામગીરીથી લોકોના મનમાં જગ્યા બનાવી બેઠેલા ઇન્સ્પેકટર હરિત વ્યાસની એકા એક ટ્રાફિક શાખામાં બદલી કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હોય તેવા દ્રશ્યો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે સર્જાયા હતા. સામાન્ય કિસ્સાઓમાં ઇન્સ્પેકટરની બદલી થાય તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાતો હોય છે. પરંતુ વિસ્તારના વેપારીઓ અગ્રણીઓ, હિતેચ્છુ ઇન્સ્પેકટરની બદલી પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવે તેવું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
બાહોશ અધિકારીની આ બદલી યોગ્ય નથી – સ્થાનિક રહીશ
આ સમયે કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક રહીશે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આવા બાહોશ અધિકારીની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી તે મને યોગ્ય નથી લાગતું, હું કારેલીબાગ વિસ્તારમાં રહું છું, છેલ્લા 9 મહિનમાં કોઇ અનિચ્છનિય બનાવ બન્યો નથી, અમે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવા આવ્યાં છે કે, આટલા સારા અધિકારીને ટ્રાફિક નહીં પણ કોઇ સારૂ પોલીસ સ્ટેશન આપો.
આઇ.પી.એસ સતીષ વર્મા માટે લોકો ગાડી આગળ સુંઇ ગયા હતા
મળતી માહિતી અનુસાર, આ પ્રકારની ઘટના અગાઉ વર્ષ 1994-95માં પોરબંદર ખાતે આઇ.પી.એસ અધિકારી સતિષ વર્મા માટે બની હતી. આઇ.પી.એસ સતીષ વર્માને પોરંબદરીમાંથી ગુંડાગીરી દૂર કરવા માટે મુકવામાં આવ્યાં હતા. આ સમયે 18 જેટલા એન્કાઉન્ટર કરી ગુંડાગીરીનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની અન્ય સ્થળે બદલી કરાતા લોકો સતીષ વર્માની ગાડી આગળ રસ્તા પર સુંઇ જઇ તેમની બદલીનો વિરોધ નોંધાવ્યો હતો.
જોકે અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે, રાતો રાત ઇન્સ્પેકટર હરિત વ્યાસની બદલી કયા કારણોસર કરવામાં આવી ? તો પોલીસ અધિકારીને તેની બદલી પાછળ કોઇ ચોક્કસ કારણ ક્યારેય દર્શાવવામાં આવતું નથી, તેમની બદલીના અનેકો કારણ હોય શકે છે.

