ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો 15 દિવસમાં ત્રીજો બનાવ, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન
ભરૂચથી અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.15 દિવસમાં ત્રીજા વ્યક્તિએ બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના નવીદીવી ગામ નજીક આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ મોડી રાત્રીના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.આ અંગેની જાણ નજીકમાં આવેલા કુકરવાડા ગામના સ્થાનિક નાવિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં કૂદી પડેલ વ્યક્તિને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો હતો.આ અંગેની જાણ તેના પરિવારજનોને કરાતા પરિવારજનો તેને સારવાર અર્થે લઈ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી 15 દિવસમાં ત્રીજી વખત આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે.નર્મદા મૈયા બ્રિજની બંને તરફ નેટ લગાવવા માટે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ પણ આ માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી ત્યારે વહેલામાં વહેલી તકે બ્રિજની બંને તરફ નેટ લગાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.

