શહેરના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકો માટે ત્રણ દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પહેલા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ થી સંસ્થામાં ૨૦ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા ૧૧૦ જેટલા મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લેવાય છે. જે બાળકો સાથે દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ ગરબા ગ્રાઉન્ડ ખાતે રાત્રિના ૭ થી ૯ વાગ્યા સુધી નવરાત્રિનું આયોજન કરાયું છે. જેમાં શાળાના મનોદિવ્યાંગ બાળકો સાથે શિક્ષકો મનમુકીને ગરબે ઘૂમશે.

