એક તરફ દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવશે જ્યારે બીજી તરફ મંગળ બજારમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદકીનો કોઇ જ નિકાલ નહીં આવતા વેપારીઓ ત્રાહિમામ.
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે જ્યારે બીજી તરફ શહેરના મુખ્ય હાર્દ સમા બજાર એવા મંગળ બજારમાં આવેલ હડદાની પોળ ખાતે છેલ્લા ઘણાં સમયથી ડ્રેનેજ ઉભરાઇ રહી છે અહીં વેપારીઓ તથા રોજબરોજ આવતા ગ્રાહકો ઉભરાતી ડ્રેનેજ તથા અસહ્ય ગંદકી વચ્ચેથી પસાર થવા,વેપાર કરવા મજબૂર બન્યા છે.અનેકવાર વેપારીઓ દ્વારા પાલિકાને ઓનલાઇન ફરિયાદ, સ્થાનિક કાઉન્સિલરો તથા વોર્ડ કચેરી ખાતે ફરિયાદ કરી હોવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિવારણ ન આવતા વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાલિકાના સ્વચ્છતા અભિયાન વચ્ચે આ નરી વાસ્તવિકતા વેપારીઓએ દર્શાવી છે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર દ્વારા અહીં ક્યારે કામગીરી કરવામાં આવશે.

