વિસાવદર તાલુકાના વિછાવડ ગામે અનોખી રીતે યોજાયેલા લગ્ન પ્રસંગે સમાજને એક સરસ સંદેશ આપતું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વાલ્મિકી સમાજના નિવૃત તલાટી મંત્રી દડિયા મનસુખભાઇની દીકરી અસ્મિતાબેનના લગ્ન પ્રસંગે લોકકલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
સામાન્ય રીતે લગ્ન પ્રસંગે જમણવાર અને ધામધૂમ જોવા મળે છે, પરંતુ મનસુખભાઇએ પોતાની દીકરીના લગ્નમાં ગામમાં ધુમાડા બંધ જમણવાર રાખવાનો અનોખો નિર્ણય લીધો હતો. તેના બદલે ગામના ચબુતરાં અને સીમ વિસ્તારમાં પંખીઓ માટે ચણ, પશુઓ માટે ઘાસચારો તેમજ કીડી-મકોડા માટે કીડીયારું પુરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મનસુખભાઇએ જણાવ્યું કે તેમની ઈચ્છા હતી કે દીકરીના શુભ પ્રસંગે માત્ર માનવ જ નહીં પરંતુ પશુ-પંખી પણ ભોજન મેળવી શકે અને પ્રકૃતિ સાથેનું જોડાણ મજબૂત બને. ખાસ કરીને વર-કન્યા લીલા માંડવડે પહોંચે તે પહેલાં જ તેમના હસ્તે લોકકલ્યાણના આ કાર્યો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વર-કન્યાના હાથે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાવી પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. દીકરીને સોનાં-ચાંદીના કન્યાદાનના બદલે “વૃક્ષ કન્યાદાન” આપી સમાજમાં એક નવી દિશા દર્શાવવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું.
આ પ્રસંગે વિછાવડ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ દાફડા સહિત સામાજિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, વિછાવડ ગામમાં યોજાયેલા આ અનોખા લગ્ન સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યા છે.

