વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ-૯ વિસ્તારમાં ગોરવા આઈ.ટી.આઈ થી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા મુખ્ય માર્ગને “જય શ્રીરામ માર્ગ” નામ આપવામાં આવ્યું છે. આ અંગેનો ભવ્ય નામકરણ કાર્યક્રમ ગોત્રી–લક્ષ્મીપુરા રોડ પર આવેલ લોટ્સ પ્લાઝા ખાતે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રીરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય સાથે તખતીનું અનાવરણ કરીને કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વોર્ડ નં. ૯ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જુલાઈ-૨૦૨૪માં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ આ માર્ગને “જય શ્રીરામ માર્ગ” નામ આપવામાં આવે. આ પ્રસ્તાવને મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂરી મળ્યા બાદ આજે વિધિવત રીતે નામકરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડોદરાના મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં. ૯ના કોર્પોરેટર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા તેમજ વોર્ડ નં. ૮ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો, કાર્યકરો અને વિસ્તારના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન હાજર મહાનુભાવોએ નવા નામકરણ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને વિસ્તારના વિકાસ માટે મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

