મહાપર્વ વડોદરાની શાન અને ભક્તિનું કેન્દ્ર ગણાતા સુરસાગર તળાવ ખાતે મહાશિવરાત્રીના મહાપર્વને ધ્યાનમાં રાખીને વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા તળાવના શુદ્ધિકરણ તથા સૌંદર્યીકરણની કામગીરી જોરશોરથી હાથ ધરવામાં આવી છે.
શિવજીની ભવ્ય પ્રતિમાના દર્શન ભક્તો સરળતાથી કરી શકે તે માટે કિનારે નડતરરૂપ બનેલી વધારાની ડાળીઓને ક્રેનની મદદથી ટ્રિમિંગ કરીને દૂર કરવામાં આવી છે. સાથે સાથે સમગ્ર સુરસાગર વિસ્તાર સ્વચ્છ અને પવિત્ર રહે તે માટે સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જ્યારે શિવજીની સવારી સુરસાગર પહોંચશે ત્યારે પરંપરાગત રીતે તળાવના કિનારે ‘સર્વેશ્વર મહાદેવ’ની ભવ્ય પૂજા-અર્ચના તથા દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.
આ આયોજનને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના નાગરિકો હવે આતુરતાથી તે ક્ષણની રાહ જોઈ રહ્યા છે, જ્યારે આખું સુરસાગર શિવમય બનશે અને લાખો ભક્તોની હાજરીમાં મહાદેવની ભક્તિગીતોથી ગુંજી ઉઠશે.

