મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે આવેલી ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ અંતર્ગત ભારતીય શાસ્ત્રીય સંગીત (ગાયન) વિભાગ દ્વારા શુક્રવાર, 23 જાન્યુઆરી 2026ના રોજ વસંત પંચમી ઉત્સવ તથા સરસ્વતી પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત શ્રી રાકેશ દવે દ્વારા સંચાલિત સરસ્વતી વંદનાથી થઈ હતી, જેમાં ફેકલ્ટીના તમામ વિભાગોના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ભાગ લઈ સમગ્ર વાતાવરણને વિદ્યા, સાધના અને સંગીતભાવનાથી પરિપૂર્ણ બનાવી દીધું હતું.
આ પ્રસંગે ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સના ડિન પ્રોફ. (ડૉ.) ગૌરાંગ ભાવસારએ જણાવ્યું હતું કે વસંત પંચમીનો પાવન દિવસ વિદ્યાર્થીઓને પુસ્તકાલય સુવિધાઓનો વધુ ઉપયોગ કરવા તથા અભ્યાસ અને સાધનાને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપે છે.
ગાયન વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ કેલકરએ વસંત પંચમી તથા સરસ્વતી પૂજનના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક મહત્ત્વ પર વિગતવાર અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત આયોજિત વિશેષ માર્ગદર્શન સત્રોમાં વિભાગના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રાગ આધારિત સંગીત શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન
શ્રી ભરત મહંતએ રાગ પરમેશ્વરીની બંદીશ શીખવાડી,
શ્રી જનક જાસકિયાએ રાગ વસંતમાં “આલી ઋતુ બંદીશ”નો અભ્યાસ કરાવ્યો,
ડૉ. પ્રવીણ આહીરેએ સરસ્વતી વંદનાનું માર્ગદર્શન આપ્યું,
અને ડૉ. યશ દેવલેએ રાગ તિલક કામોદમાં શારદા સ્તુતિની બંદીશ શીખવાડી હતી.
આ શૈક્ષણિક તથા સંગીતમય કાર્યક્રમમાં ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંગીત સાધનાના માધ્યમથી જ્ઞાનાર્જન કર્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન અને સંકલન ડૉ. મકરંદ સરપોતદાર (સમન્વયક) તથા ડૉ. યશ દેવલે (સહ-સમન્વયક) દ્વારા કરવામાં આવ્યું હતું.

