બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ડભોઇ નગર ના વ્યસ્ત ગણાતા વડોદરી ભાગોળ વિસ્તાર ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં બાંગ્લાદેશમાં જેહાદી તત્વો દ્વારા હિન્દૂ યુવાન દીપચંદ્ર દાસની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત ડભોઈ પ્રખંડમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ ધરણા પ્રદર્શનમાં વિશ્વ હિન્દૂ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાઅધ્યક્ષ તુષારભાઈ વ્યાસ. જિલ્લા VHP સહમંત્રી રમેશભાઈ રાવલાની ભાજપ ના હિરેન મહેતા સહિત VHP અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી.
વિશ્વ હિન્દૂ પરિષદ ના પ્રખંડ અધ્યક્ષ કલ્પેશ પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જો હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા જલદ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.

