રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરને ધ્યાનમાં રાખીને શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ નજીક બાપોદ જકાતનાકા ખાતે આવેલા હિરાબાનગર સ્થિત શ્રી હિરેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના પ્રાચીન અને ઐતિહાસિક તીર્થસ્થળ સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક પરંપરા અને તેના ગૌરવનો અહેસાસ કરાવતા આ પર્વ દરમિયાન હિરેશ્વર મહાદેવ મંદિરે 24 કલાકના અખંડ ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે અને સાંજે મહાઆરતી સાથે ભજનમંડળીઓ દ્વારા સતત ભજન અને કીર્તનોથી મંદિર પરિસર ભક્તિમય બની ગયો હતો.
કાર્યક્રમમાં ત્રણ અલગ અલગ ભજનમંડળીઓએ ભાગ લીધો હતો. વોર્ડ નં. 5 ના સ્થાનીક કાઉન્સિલર નૈતિક શાહ, હિરાબાનગરના પ્રમુખ કરસનભાઈ રબારી, સેક્રેટરી રાજુભાઈ પટેલ, વિક્રમભાઈ, ભોજાભાઈ સહિતના આગેવાનો તથા વિસ્તારના મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી હતી.
સોમનાથ મંદિરના ઇતિહાસ અને ગૌરવને યાદ કરાવતા આ પર્વે શહેરના વિવિધ શિવાલયોમાં ધાર્મિક ઉત્સવ અને કાર્યક્રમો દ્વારા ભક્તોને આધ્યાત્મિક અનુભવ મળ્યો હતો.

